અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં જન અધિકાર મંચની ટીમે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર પાઠવી અને ઉઠામણું કરી ગયેલ ક્રેડિટ સોસાયટીઓમાં અરવલ્લી જિલ્લાના દોઢ લાખથી વધુ લોકોના રૂ.૭૦૦ કરોડથી વધુ રકમ સલવાઈ જતાં ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં આવેલી દસ જેટલી ક્રેડિટ સોસાયટીઓમાં દોઢ લાખથી વધુ લોકોએ અલગ અલગ સ્કીમમાં પોતાના પરસેવાની કમાણીનું રોકાણ કર્યું હતું. અંદાજીત ૭૦૦ કરોડથી વધુ રકમ ઉઘરાવીને ક્રેડિટ સોસાયટીઓ ઉઠમણું કરીને પલાયન થઈ જતાં ગરીબ અને શ્રમિક વર્ગ આર્થિક મુશ્કેલીના સમયે પણ તેમના જ નાણાં પરત ન મળતાં મુશ્કેલીભર્યા દિવસો આવ્યા છે. ગરીબોના પરસેવાની કમાણીમાંથી બચત કરવા રોકેલા નાણાં લઈ ઉઠમણું કરી ગયેલા સંચાલકો વૈભવી જીવન જીવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આદર્શ ક્રેડિટ સોસાયટી , અર્બુદા ક્રેડિટ ,ખેતેશ્વર ક્રેડિટ સોસાયટી, સહારા ઈન્ડિયા પરિવાર, સમૃદ્ધ જીવન, સગુન, પલ્સ ઈન્ડિયા, કે.એમ.જે., જે.કે.એમ.એમ., પ્રતિજ્ઞા સહીત અનેક લેભાગુ કંપનીઓએ ઉંચા કમિશનથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એજન્ટ રોકી રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી ૭૦૦ કરોડ રૂપિયાથી વધુનું ઉઘરાણું કરી ઉઠામણું કરતું જિલ્લાના લાખ્ખો લોકોની હાલત દયનિય બની છે.જન અધિકાર મંચના સદસ્યોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અરજદારોએ જણાવ્યું છે કે સરકાર આ મામલે કાર્યવાહી કરીને તેમના નાણાં પરત નહી અપાવે તો સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.