અમદાવાદ-

મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનો દસમો કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 132 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે 51 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગેની સલાહ આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પણ 18-18 કલાક સતત કામ કરતા રહે છે. જ્યારે તેમના કામથી જ સમગ્ર દેશનું નામ વધુ પ્રખ્યાત થયું છે અને આવી જ રીતે તમે પણ કામ કરતા રહો જેથી આવનારા સમયમાં જે ભૂતકાળમાં દેશનું નામ વિશ્વ ગુરુ હતું તે ફરીથી વિશ્વ પ્રસિદ્ધ થાય. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવીદાન સમારોહમાં કોરોના કાળને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં એવી સમસ્યાઓ સામે આવી છે કે, જે અંગે કોઈએ વિચાર્યું પણ નહતું. વિદ્યાર્થીઓને હવે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે અંગે વિચારવાનું રહેશે. આ તમામ અંગેનું સમાધાન લાવવું પડશે. જ્યારે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીમાં અનેક એવા મોટા ઈનોવેશન થયા છે, કે જે ખરેખર વિશ્વમાં ગુજરાત અને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીનું નામ પ્રસિદ્ધ કરી રહ્યા છે. જ્યારે વધુને વધુ ઈનોવેશન થાય તે માટે પણ રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.