અમદાવાદ, દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી ગેરકાયદેસર રીતે રૂ.૧૩૦૦ કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડનાર ગેંગનો કસ્ટમ વિભાગે પર્દાફાશ કરી કોફેપોસા હેઠળ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી. જાેકે ૫ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમબ્રાન્ચની ટીમએ આરોપી ભાર્ગવ તંતીને ઝડપી લીધો છે. બીજા ચાર ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. 

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તબક્કાવાર દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી પાંચ આરોપીઓએ ૧૩૦૦ કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડયું હતું. જેમાં ભાર્ગવ તંતીએ ૨૦૧૩ થી ૨૦૧૮ના સમયગાળા દરમિયાન ૪૬ ટ્રીપ મારી દાણચોરીનું ૭૬૧ કિલો દાણચોરીનું સોનું ભાર્ગવ તંતીએ ઘુસાડયું હતું. કસ્ટમ વિભાગએ કાર્યવાહીના ભાગરૂપે હાજર થવા માટે ભાર્ગવ સહિતના આરોપીઓને નોટીસ મોકલવામાં આવી પણ હાજર થયા ન હતા. જેથી ડેપ્યુટી સેક્રેટરી કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરોને કોફેપોસા હેઠળ અટક કરવા માટે ગત તા.૨-૮-૨૦૧૯ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા માટે કસ્ટમ વિભાગે પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવને જાણ કરી હતી. જેના પગલે ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચ પીઆઈ એ.વાય.બલોચ અને પીએસઆઈ કે.એમ.બારીયાએ તપાસ કરતા આરોપી ભાર્ગવ કનુભાઈ તંતી રહે, પ્લેઝન્ટ રેસિડન્સી, પુષ્પકુંજ, કાંકરિયા મણિનગર, અમરેલી ખાતેના ખાંભા તાલુકાના ઈંગોરાડા ગામે હોવાની વિગત મળી હતી. હકીકત આધારે આરોપી ભાર્ગવને ઝડપી કૃષ્ણનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.