સુરત-

સુરતના રિંગ રોડ વિસ્તારમાં પ્રતિદિવસ ઠાલવવામાં આવતું અંદાજીત અઢી કરોડ મીટર કાપડનો જથ્થો કોરોનાની લાંબી માર બાદ હવે માત્ર માંડ માંડ ૧ કરોડ મીટરની આસપાસ જ રહી ગયું છે.જેના કારણે સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓની ચિંતા પણ વધી છે.હમણાં સુધી કોરોનાની મારના કારણે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને ૧૨ હજાર કરોડનો મોટો ફટકો વેપારમાં પડી ચુક્યો છે. માર્કેટમાં ૬૦ ટકા કારીગરો કોરોનાના કારણે વતન હિઝરત કરી ચુક્યા છે.જેના પગલે માર્કેટમાં હાલ કારીગરોની પણ અછત વર્તાય રહી છે.

જાે કે હાલ જ ફરી શરૂ થયેલી માર્કેટને લઈ વેપારીઓમાં એક નવી આશાનું કિરણ જાગ્યું હતું,પરંતુ અન્ય રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિને લઈ તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટ પર જાણે કોરોના બાદ મોટું ગ્રહણ લાગ્યું છે. લોકડાઉન બાદ માંડ માંડ સ્થિતિ સામાન્ય બની રહી હતી,ત્યાં કોરોનાની બીજી લહેર ના કારણે વેપારીઓને મોટો ફટકો પડયો છે.કોરોનાની પહેલી લહેરમાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હતી.માંડ માંડ પાટા પર આવેલ સ્થિતિ ફરી સામાન્ય બની હતી.પરંતુ જેવી કોરોનાની બીજી લહેર આવતા જ ટેકસ્ટાઈલ્સ માર્કેટની પડતી ફરી શરૂ થઈ ગઈ. ત્રણ સપ્તાહ સુધી રિંગ રોડ વિસ્તારની તમામ ટેક્સટાઇલ માર્કેટ કોરોનાના સંક્રમમની ચેનને તોડવા બંધ રાખવી પડી હતી.જે બાદ રાજ્ય સરકારેના આદેશ ના પગલે માર્કેટ ફરી શરૂ કરવામાં આવી.જ્યાં વેપારીઓમાં પણ ધંધા-વેપારની એક નવી આશા જાગી હતી.અગાઉ રમઝાન,અખાત્રીજ જેવા તહેવારોની સિઝન કોરોનાના કારણે નિષ્ફળ જતા મોટો ફટકો વેપારીઓને પડ્યો હતો.અન્ય શહેરો અને રાજ્યોમાં લોક ડાઉનના કારણે માર્કેટ બંધ રહેતા માલની આવાગમન પણ બંધ પડી ગયું. એટલું જ નહીં વેપારીઓ દ્વારા અગાઉ મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ અટકી પડ્યું.જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા.રિંગ રોડની અંદાજીત ૧૭૫ જેટલી ટેકસ્ટાઈલ્સ માર્કેટ આવેલ છે.જેના પર અંદાજીત ૩ લાખ કારીગરો રોજગારી મેળવે છે.પરંતુ કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના કારીગરો વતન હિંઝરત કરી ગયા છે.