ભરૂચ-

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પ્રથમ વખત 23 દરવાજા ખોલી 5 લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા નદીની જળ સપાટી 16 ફૂટને પાર પહોંચી ગઇ છે.

નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે, ત્યારે નર્મદા નદીનું જળસ્તર 30 ફૂટને પણ પાર કરી જાય એવી સંભાવના છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠાના 22 જેટલા ગામોમાં એલર્ટ અપાયું છે અને સ્થળાંતરની કામગીરી માટે કવાયત શરુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટીમાંથી 50 જેટલા લોકોનું તાજેતરમાં જ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, તો બીજી તરફ નદી કાંઠાના ગામોમાં રાહત અને બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.નર્મદા નદીના જળસ્તર વધતા નદીના પાણી શહેરના ફુરજા દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ ઘૂસવાની શક્યતા છે, ત્યારે નગર પાલિકા દ્વારા પણ સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કવાયત કરવામાં આવી રહી છે. નર્મદા નદીના જળસ્તર 25 ફૂટની પાર પહોંચતા જ ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે બનાવવામાં આવેલું રાજ્યનું સોથી પ્રથમ કોવિડ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થાય એવી શક્યતા છે, ત્યારે પૂરની પરિસ્થિતિ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતક દર્દીના અંતિમ સંસ્કાર ક્યા કરવા એ પણ પ્રશ્ન ઉભો થશે.