હાલોલ : યાત્રાધામ પાવાગઢ-શિવરાજપુર રોડ પર છાજદિવાળી ગામના પાટિયા નજીક ગત મંગળવારના રોજ બે મોટરસાઈકલો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાર્યો હતો. જેમાં બે જણાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે એકનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે એક નાની બાળકી અને મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માતા-પુત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. ગંભીર અકસ્માત થતાં ઘટનાસ્થળે ભારે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પાવાગઢ પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાવાગઢ-શિવરાજપુર રોડ પર આવેલ છાજદિવાળી ગામના પાટિયા નજીક મંગળવારે સાંજના સુમારે બે મોટરસાઈકલો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક પર સવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા ૩૪ વર્ષીય વસંત જીવનભાઈ પરમાર તેની પાછળ બેઠેલા તલાવડીના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ ભીખાભાઇ બારીયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સામેની છોટાઉદેપુર પાસિંગવાળી બાઇકસવારનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બાઇક પર બેઠેલી એક દોઢ વર્ષીય બાળકી હેમાંશી અને તેની માતા સુમિત્રા રાઠવા અને પતિ અરવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઘટનાસ્થળે મરણ જનાર બંને બાઈકચાલકોના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે અને વડોદરા ખાતે મરણ પામનારના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે રાખવામાં આવ્યા હતા.