ગાંધીનગર-

રાજ્યમાં થોડા-થોડા દિવસે રોડ એક્સિડન્ટના સમાચાર સામે આવતા રહે છે, પરંતુ આ રોડ એક્સિડન્ટે છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લોકોનો ભોગ લીધો તેનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ એક્સિડન્ટમાં ૩૦,૦૭૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં તાલાલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભગાભાઈ બારડે પૂછેલા સવાલના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા લેખિતમાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. બારડે વાહનોના અકસ્માતોના કારણે રાજ્યમાં થયેલા કુલ મોત અને રોડ એક્સિડેન્ટને ઘટાડવા માટે સરકારે લીધેલા પગલાઓ અંગેની માહિતી માગી હતી. છેલ્લા પાંચ વર્ષમાં (૧ જાન્યુઆરી ૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ની વચ્ચે) એક્સિડન્ટમાં સૌથી વધારે મૃત્યુ ૨૦૧૮માં ૮,૦૪૦ થયા હતા, જ્યારે સૌથી ઓછા મૃત્યુ ૨૦૧૯માં ૭,૪૦૯ થયા હતા. ગૃહમંત્રીએ પોતાના જવાબમાં કહ્યું કે, શહેરો અને જિલ્લાઓમાં રોડ એક્સિડન્ટમાં થતાં મૃત્યુને ઘટાડવા માટે ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે અને આ અંગે નિયમિત ફોલો-એપ પણ લેવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આરટીઓ, પોલીસ, આરએન્ડબી અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમો અકસ્માત સ્થળની મુલાકાત લે છે અને ખામીયુક્ત રોડ એક્સિડન્ટનું કારણ તો નથી ને તે ચકાસે છે. તેમણે ઉમેર્યું હતું કે, માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં નિયમિત ટ્રાફિક શિક્ષણ અને જાગરૂકતા ઝુંબેશ ચલાવવામાં આવે છે. મંત્રીએ તેમના જવાબમાં તેમ પણ કહ્યું હતું કે, પોલીસ કમિશનરો અને જિલ્લા કલેક્ટરો નિયમિતપણે સ્પીડ લિમિટ અંગેની સૂચનાઓ જાહેર કરે છે.