ભચાઉ, ભચાઉ તાલુકાના કંથકોટ સહિતના આજુબાજુના ગામડાઓમાં અને વિસ્તારમાં ઝડપી પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે કેટલાય ઝુપડાઓને નુકસાન પહોચ્યું હતું અને તેમના પતરા ઉડી ગયા હતા. ભારે વરસાદને કારણે વીજળી ત્રાટકતા ૧૮ બકરાઓના મોત થયા હતા. કચ્છમાં એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યાર બાદ વાગડ વિસ્તારમાંથી ફરી એક વખત ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાગડ વિસ્તારમાં બપોર પછી આશરે ૪થી ૫ વાગ્યાની વચ્ચે હવામાન ફરતા ભચાઉના કંથકોટમાં વીજળી ત્રાટકી હતી.ભચાઉ તાલુકાના કોંગ્રસના પ્રમુખ બળુભા જાડેજાએ જણાવતા કહ્યું હતું કે, ગામના રબારી વિસ્તારમાં વીજળી પડતા ૧૮ બકરાઓના મૃત્યુ થયા હતા. કંથકોટમાં ગામના બકરા ચરાવતા ગોવિંદ કરશન રબારીની ૧૦ બકરીઓ અને અન્ય ૮ બકરી મળીને કુલ ૧૮ બકરીઓ પર વિજળી પડવાથી મોત નીપજ્યુ હતુ. સમગ્ર ઘટના મામલે માલધારી પર આભ ફાટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. માલધારીના બકરાઓ પર વીજળી પડતા મોતને ભેટતા હવે રોજીરોટીને અસર થઇ છે.