અમદાવાદ-

કોરોના વાયરસનો કહેર ખત્મ થયો નથી ત્યાં હવે અમદાવાદ શહેરમાં મ્યુકરમાઇકોસિસે કાળો કહેર વર્તાવ્યો છે. મ્યૂકરના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં તો પરિસ્થિતિ એ હદે વણસી છે કે દર્દીઓના ઓપરેશન માટે ઓપરેશન થિયેટરો ખૂટી પડ્યા છે તેવું અમદાવાદના સિવિલ હોસ્પિટલનાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટે કહ્યું.હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૫૧૬ દર્દી દાખલ છે. જ્યારે દરરોજ ૩૦ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૨૦૦ દર્દીઓની સર્જરી થઇ ગઇ છે. સૌથી અગત્યની વાત એ છે કે મ્યૂકરના ૮૦ ટકા દર્દીઓ ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરના છે. અત્યારસુધીમાં સિવિલમાં ૬૪ દર્દીઓનાં દાંત, દાઢ અને જડબાં કાઢી નખાયાં છે. અમદાવાદ સિવિલમાં મ્યૂકરમાઇકોસિસના શકમંદ દર્દીઓના સેમ્પલ લઇ બીજે મેડિકલ કોલેજમાં આવેલી માઇક્રો બાયોલોજી લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ ૯૦થી ૧૦૦ સેમ્પલ મોકલવામાં આવે છે. તે પૈકી ૪૦ ટકા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનું સામે આવ્યું છે.

દાખલ દર્દીઓને ઇન્જેક્શન અને દવાઓ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ડોઝ નક્કી કરીને આપવામાં આવી રહ્યો છે. ઇન્જેક્શન સહિત દવાઓ પૂરતી માત્રામાં છે. આ અંગે ઇએનટી વિભાગના એક સર્જનએ જણાવ્યું હતું કે, સિવિલમાં દાખલ દર્દીઓ પૈકી ઇએનટી વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધી ૧૭૬ દર્દીઓના ઓપરેશન થઈ ચૂક્યા છે. શરીરની અસ્વછતા ફંગસ માટે જવાબદાર છે. શરીરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. જે દર્દીઓને કોરોના થયો હોય અને ડાયાબિટીસ વધુ હોય તથા કેન્સર કે કોઇ સર્જરી કરવામાં આવી હોય તેવા દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના કારણે મ્યૂકરમાઇકોસીસનો ખતરો તેવા દર્દીઓને વધુ પ્રમાણમાં રહેલો છે. ત્યારે આવા દર્દીઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું, અને વારંવાર હાથ સાફ કરવા જાેઇએ. સિવિલમાં કેટલાક એવા પણ દર્દીઓ છે કે દસ દિવસથી દાખલ હોવા છતાં ઇન્જેક્શન મળતા નથી. સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની સામે ૧૦ ટકા જેટલો જ એમ્ફેટેરિસીન બી ઇન્જેક્શન ફળવવામાં આવી રહ્યો છે. બીજી તરફ બજારમાં પણ ઇન્જેક્સન મળતા નથી તેના કારણે અનેક દર્દીઓની હાલત ગંભીર થઇ રહી છે અને સગાંની હાલત કફેડી બની રહી છે. ત્યારે સરકારે તાકીદે આ મામલે કોઇ ર્નિણય કરે તેવી માગ ઊઠી છે.