છત્તીસગઢ-

છત્તીસગઢના રાયપુર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં મજૂરોને લઈને ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલી બસને ભયાનક અકસ્માત નડ્યો હતો જેમાં 7ના મોત નિપજ્યા છે.

મંદિર હસૌદ પોલીસ સ્ટેશન હેઠળ પૂર પાટ ઝડપે જતી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મજૂરોને ઓડિશાના ગુંજામથી બસ ગુજરાત જઇ રહી હતી, ત્યારે રોંગ સાઇડ આવી રહેલા ટ્રક સાથે બસની જોરદાર ટક્કર થઇ હતી અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં 7 મજૂરોના મોત થયા, જ્યારે લગભગ 20 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે રાયપુરની આંબેડકર હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના સવારે લગભગ 3.30 કલાકે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત એટલો જોરદાર હતો કે, આગળ બેસેલા એક મજૂરનો મૃતદેહ ટ્રકની છત પર જઇને પટકાયો હતો, જેને પોલીસે ટ્રક જપ્ત કર્યા બાદ જોયો હતો.વધુમાં ઘટનાસ્થળે પહોંચેલી મંદિર હસૌદ પોલીસે બધા ઇજાગ્રસ્ત મજૂરોને મેકાહારા હોસિપ્ટલ પહોંચાડ્યા હતા અને લગભગ 20 મજૂરોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસે ટ્રક જપ્ત કર્યો હતો અને કેસ દાખલ કરીને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી હતી.