ખેડબ્રહ્મા-

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ગામડાંઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચવા લાગ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે અનલોક 4 કરીને લોકોને છૂટછાટો આપી છે. તેવામાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વંયભૂ લોકડાઉનનું નક્કી કરવામાં આવ્યુ છે. નગરપાલિકા, વિવિધ વેપારી મંડળે પણ આ સ્વંયભૂ બંધ રાખવાના નિર્ણય લીધો છે.

ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધતું જતાં અને રોજબરોજ નવા કેસો નોંધાતાં લોકો સ્વયંભૂ સાવચેતીના પગલાં લેવા આગળ આવી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મામાં પાંચ કેસો એક્ટિવ હોવાથી અને સંક્રમણ ન વધે અને કોરોના પોઝિટિવ કેસો ઉપર નિયંત્રણ આવે તે માટે સૌના હિતમાં ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવાર 14થી 21 સપ્ટેમ્બર સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લારી-ગલ્લાવાળાઓ પણ આ બંધને સમર્થન આપ્યું છે. ખેડબ્રહ્મા આઠ દિવસ ધંધા, રોજગાર, દુકાન, બજારો સંપૂર્ણ બંધ રહેશે. કોવિડ -19 અંતર્ગત હવે ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો અટકાવવા ખેડબ્રહ્માના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં દૂધ, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો ચાલુ રહેશે.