ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાની સારવાર કરતા આરોગ્ય તંત્રને કોરોના સંક્રમિતનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતા 80 થી વધુ મેડિકલ સ્ટાફ સંક્રમિત થવાથી તંત્ર ઉંધા માથે થઈ ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ19ની સારવાર માં ફરજ બજાવતા અને અલગ અલગ વિભાગમાં કામ કરતાં 80 થી વધુ સેવારત આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢ્યા છે.

જેમાં 20 થી વધુ ડોકટરો સંક્રમણ નો ભોગ બન્યા છે. ઉપરાંત મેડિકલ સ્ટાફ , પેરા મેડિકલ સ્ટાફ નર્સ સહિત વર્ગ 1 થી 4 ના મળી કુલ 80 જેટલો મેડિકલ સ્ટાફ સંક્રમિત થતાં ગાંધીનગર સિવિલ માં સારવાર અર્થે આવતાં દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સિવિલનો આરોગ્ય વિભગનો સ્ટાફ સંક્રમિત થવાની ઘટના સામે સ્ટાફની તીવ્ર અછત ઉભી થાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.

જોકે સંક્રમિત થયેલા મેડિકલ સ્ટાફની સારવારની વ્યવસ્થા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત આરોગ્ય સ્ટાફની સારવાર આપવામાં આવશે.એક તરફ સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ બાકાત નથી. તો બીજી તરફ સ્ટાફ ની અછત સામે આરોગ્ય વિભાગના કોવિડ 19 માં કામ કરતા ગાંધીનગર સિવિલના મેડિકલ સ્ટાફની સારવાર ઉપરાંત ગાંધીનગર આસપાસના બહારથી આવતાં સંક્રમિત દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેની મથામણ માં તંત્ર દોડતું થઈ ગયું છે.