અમદાવાદ, અમદાવાદ જિલ્લાના અંદાજે ૧૭ લાખ સહિત ગુજરાતભરના ૧.૧૬ કરોડ એલપીજી ગ્રાહકોને છેલ્લા ૮ મહિનાથી રાંધણગેસના બાટલાની સબસિડી મળી નથી. સબસિડી નહીં મળવા માટે પુરવઠા વિભાગ કે ડિલરો પાસે કોઇ કારણ નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર ૧૫ દિવસમાં રાંધણગેસના બાટલામાં રૂ.૧૦૦નો ભાવ વધારો થયો છે. એલપીજી વિતરણ કરનાર અમદાવાદ જિલ્લાના ૧૦૩ સહિત રાજ્યમાં ૯૬૨ ડિસ્ટ્રિબ્યુટર છે. અમદાવાદ જિલ્લામાં રાંધણગેસના બાટલાનો ઉપયોગ કરનાર અંદાજે ૧૭ લાખ ગ્રાહકોને છેલ્લા આઠ મહિનાથી પી.એમ.ઉજ્વલા યોજના હેઠળ સબસિડી તો મળી નથી અને છેલ્લા ૧૫ દિવસમાં રૂ.૧૦૦નો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.  

પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સબસિડી નહીં લેનાર અને મળવાપાત્ર ના હોય તેવાં સાત લાખ ગ્રાહકો છે. આ સિવાયના ગ્રાહકો સબસિડીની રાહ જાેઇ રહ્યાં છે. પરંતુ કેન્દ્ર તરફથી સબસિડી મળી નથી. સબસિડી કાયમી ધોરણે દૂર કરી દેવાઇ હોવાની પણ ચર્ચા છે. આ અંગે કેન્દ્ર તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં વધારો થયો નથી. જેથી ત્રણે ઑઇલ માર્કેટીંગ કંપનીઓને કોઇ નુકસાન નથી. એટલે સરકારે સબસીડી બંધ કરી હોવાનું મનાય છે. ગેસના ભાવમાં વધારો થશે તો સબસીડી ફરી ચાલુ થશે. જાેકે ગ્રાહકોને તો માત્ર સબસીડીથી જ મતલબ છે. એલ.પી.જી.ડિસ્ટ્રિબ્યુટર ફેડરશેન(ગુજરાત હોદ્દેદારો કહે છે કે ડિલરશીપ માટે પુરવઠાના ફરજિયાત લાઇસન્સનો નિયમ અગાઉ ૨૦૦૬થી ૨૦૦૮ સુધી રદ કર્યો હતો. પણ બાદમાં આ લાઇસન્સ ફરી જરૂરી બનાવી દેવાયું. જેના કારણે ડિલરો નારાજ થયા છે. તેમણે હડતાળની ચિમકી પણ આપી છે. સબસિડી માટે રોજબરોજ ગ્રાહકોના સંભ્યાબંધ ફોન આવે છે. કેન્દ્ર તરફથી મળતી સબસીડી અંગે પ્રત્યેકને જાણકારી છે. બેન્કની પાસબુકમાં સબસીડીની એન્ટ્રી આવતી નહીં હોવાથી ગ્રાહકોની ધીરજ ખુટી છે. પુરવઠા વિભાગ કે કંપનીઓ પણ સબસીડી ક્યારે જમા થશે, તેનો જવાબ આપતી નથી.