વડોદરા -

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ માર્કેટ ચાર રસ્તા પાસે વ્રજસિદ્ધિ ટાવર નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં નીચેની બાજુ દુકાનો અને ઉપર રહેણાક મકાનો આવેલા છે. આજે બપોરના સમયે એકાએક બેઝમેન્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્લેક્સના કોમન મીટરમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓ અને તેમના ત્યાં આવેલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ હજુ વધારે મોટું સ્વરૂપ ધારણ કરે તે અગાઉ જ ફાયર બ્રિગેડને જાણ કરી દેવાતા ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ભરબપોરે ટ્રાફિકથી ભરપૂર રહેતા આ રસ્તા પર બનેલા બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જેના કારણે માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે, પોલીસ દ્વારા લોકોને છૂટા કરીને ટ્રાફિક પર કાબૂ મેળવી લેવાયો હતો.

તરસાલી રોડ પર મકાનના વાયરિંગમાં આગ

આજે સાંજના સમયે તરસાલી મેઈન રોડ પર આવેલ ઓમ નગર સોસાયટીના મકાન નં. એ-૩૨નું વાયરિંગ સળગતું હોવાનો કૉલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જેથી જીઆઇડીસી ફાયર સ્ટેશનના લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓવર હિટિંગ અથવા તો શોર્ટ સર્કિટને કારણે આ વાયરિંગ સળગી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.