અમદાવાદ-

શહેરના કૃષ્ણનગર ખાતે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કુલમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. શાળાના બિલ્ડીંગમાંથી એકાએક ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં આસપાસના રસ્તાઓ પર લોકો અને વાહનોની ભીડ થઈ હતી. શાળાના ધાબા પર કેટલાંક લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું.

આશરે સવારે સવા અગિયાર વાગ્યે લાગેલી આ આગ બાબતનો એલાર્મ ફાયરખાતાને અપાતાં થોડીવારમાં ફાયર ફાઈટીંગ એન્જીનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આશરે પંદરેક જેટલા ફાયર ફાઈટીંગ એન્જીનોએ આગ ઓલવવાની કામગીરી શરૂ કરતાં આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. આ શાળાના મકાનના ધાબા પર સાત થી આઠ લોકો ફસાયા હોવાથી તેમને બચાવવાની કામગીરી પણ સત્વરે હાથ ધરાઈ હતી. મળતા હેવાલો પ્રમાણે આગની આ ઘટનામાં ત્રણ મજૂરો ધાબા પર ફસાયા હતા પરંતુ તેમને હેમખેમ બચાવી લેવાયા હતા. આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નહોતા.