ગીર સોમનાથ-

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના માધુપુરા ગામના રામમંદિર ચોકમાં ગત રાત્રે સિંહ યુગલે ગાયનો શિકાર કરી મિજબાની મળી હતી. છેલ્લા ઘણા દિવસથી આ સિંહ યુગલ રાત્રીના સમયે ગામમાં આટાંફેરા કરતું જાેવા મળે છે. ત્યારે આજે સિંહ યુગલે ગાયનો શિકાર કરી મિજબાની માણતા કેમેરામાં કેદ થયા હતા. માધુપુરા ગામમાં રાત્રે લોકો સુઈ જાય તે બાદ સિંહ યુગલ ગામમાં ચડી આવે છે. સિંહ યુગલે છેલ્લા ૧૦ દિવસમાં ૪ પશુઓનું મારણ કર્યુ છે. ત્યારે ગત રાત્રે આ સિંહ યુગલે ગાય પર હુમલો કર્યો હતો અને દોઢ કલાક સુધી મિજબાની માણી હતી.

હાલ ચોમાસાની ઋતુમાં જંગલ વિસ્તારમાં મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી સિંહો ગીચ જંગલવાળા વિસ્તારોને છોડીને ગીર જંગલની બોર્ડર પરના ગામના સીમાડાઓના ખેતરમાં વધુ જાેવા મળી રહ્યાં છે. રાત પડે એટલે ગામના પાદરમાં અને ગામની શેરીઓમાં પહોંચી ખોરાક માટે દુધાળા માલઢોરનો શિકાર કરવા લાગ્યા છે.