ગાંધીનગર-

રાજ્યમાં કોવિડ-19ને કારણે તમામ શાળાઓ અને કૉલેજો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. આ કૉલેજો અને શાળાઓ ક્યારે ખુલશે તે બાબતે સરકાર પણ હજૂ સ્પષ્ટ નથી, ત્યારે આજે એટલે કે સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક યોજવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. એક કલાકની આસપાસ ચાલેલી આ બેઠકમાં રાજ્યમાં કઈ રીતે શાળાઓ શરૂ કરવી તે બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ શાળામાં કયા ધોરણથી કયા ધોરણ સુધીનો અભ્યાસ શરૂ કરાશે તે બાબતે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું. સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકની ચર્ચા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે CMને માહિતગાર કરવામાં આવ્યા બાદ જ રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવાનો અને કેવી રીતે સાથે ક્યાં ધોરણો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરશે. કોરોના કાળ દરમિયાન ગત ઘણા સમયથી શાળાઓ બંદ છે, ત્યારે સૌ પ્રથમ ધોરણ 9થી 12ની સ્કૂલ શરૂ થવાની શક્યાતાઓ સેવાઈ રહી છે. આ તમામ નિર્ણયો અનલોક-6ની SOP આવ્યા બાદ થઇ શકે છે.