રાજપીપળાની પ્રજાના માથે વેરો ઝીંકતી નગરપાલિકા

રાજપીપળા, તા.૧૪

રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવાની કાર્યવાહી સામે ભારે વિરોધ થયો હતો, રાજપીપળાની પ્રજા પણ વેરા વધારવાના સખત વિરોધમાં હતી.હવે કોરોના મહામારીને લીધે અગાઉ પણ એક વાર બોલાવાયેલી સામાન્ય સભા કેન્શલ રખાઈ હતી.જો કે ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ બોલાવાયેલી સામાન્ય સભા શરૂઆતથી જ તોફાની બની હતી.રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા અને મુખ્ય અધિકારી જયેશ પટેલ વચ્ચે માથાકૂટ થતા મામલો ગરમાયો હતો.

સભા દરમિયાન અમુક સભ્યોએ એવા આક્ષેપો કર્યા કે અત્યાર સુધી અમારા કોઈ જ કામો થયા નથી.કોરોના મહામારીને લીધે ગત ૨૪/૬/૨૦૨૦ ના રોજ બોલાવાયેલી રાજપીપળા પાલિકાની ખાસ સામાન્ય સભાનો એજન્ડા રદ કરી એ સભા ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ બોલાવી હતી.સભા દરમિયાન જ પ્રમુખ જિગીશાબેન ભટ્‌ટ સામે પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ વાંધો લઈ જણાવ્યું કે એજન્ડા રદ કરેલી સભા ફરી ન બોલાવી શકાય આ આખી સભા ગેરકાયદેસર છે.મહેશ વસાવા અને પાલિકા પ્રમુખ વચ્ચે ચાલતા આ વિવાદમાં ર્ઝ્રં જયેશ પટેલે બોલતા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલ અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવા વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો, પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ તો મુખ્ય અધિકારીને ત્યાં સુધી કહી દીધી હતું કે સાહેબ તમને બોર્ડમાં બોલવાનો અધિકાર નથી તમે તો અમારા નોકર છો, મહેશ વસાવાના આ શબ્દો સામે કારીબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે વાંધો લીધો અને જણાવ્યું કે એક અધિકારીને આવું ન બોલાય.અંતે વિવાદ થમ્યો અને સભા આગળ ચાલી હતી.રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નગર સેવકો અંતે નગરની પ્રજાના વિરોધી બની વેરો વધાર્યો છે.ભારતની પહેલી એવી નગરપાલિકા છે જેણે કોરોના મહમારીમાં વેરો વધાર્યો છે.રાજપીપળાની જનતા પાસેથી જે વાંધા અરજી મંગાવી એનો પાલિકા સત્તાધીશોએ મજાક બનાવી દીધો છે.

આંશિક વેરો વધારાયો છે

કર્મચારીઓના પગારમાં તકલીફ પડતી હતી એટલે આંશિક વેરો વધાર્યો છે અને એમાં મોટે ભાગના સભ્યોની સંમતિ છે.રાજપીપળા પાલિકાએ વાર્ષિક ૧.૫૦ રૂપિયા વેરો વધાર્યો છે.જેમાં સૂચિત વેરો ૭૫૦, સ્ટ્રીટ લાઈટ વેરો ૧૫૦, સફાઈ વેરો સફાઈ કરે એ માટે ૧૦૦ અને ઘર દીઠ ઉઘરાવે એનો ૧૫૦ અને પાણીનો વાર્ષિક વેરો ૧૫૦ કરાયો છે.

• જિગીશાબેન ભટ્ટ, પાલિકા પ્રમુખ

વેરા વધારવામાં મંજૂરી આપનાર સભ્યો

રાજપીપળા પાલિકાના અપક્ષ સભ્ય મહેશ કાછીયા, સલીમ સોલંકી અને કોંગ્રેસ-ભાજપના કુલ ૧૬ સભ્યોએ વેરા વધારવામાં જ્યારે મહેશ વસાવા, ડો.કમલ ચોહાણ, સુરેશ એમ વસાવા, કવિતા એસ માછી, ઈલમુદ્દીન બક્ષીએ વેરા વધારાનો વિરોધ કર્યો હતો.તો બીજી બાજુ ભાજપના સંદીપ દસાંદી, સપના વસાવા અને કોંગ્રેસના મુંતઝિરખાન શેખ સભામાં ગેરહાજર રહ્યા હતા.