ગાંધીનગર-

કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહેલાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેવામાં હવે આ પ્રતિમાના પરિસરમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિર્માણ પામનારા મ્યૂઝિયમમાં લોકો દેશી રજવાડાઓની ગાથા જોઈ શકશે.

આ મ્યૂઝિયમમાં પ્રવાસીઓને ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમ જ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવનાના દર્શન થશે. સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે. આ ઉપરાંત આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલિનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૂત કરવામાં આવશે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલકતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અત્યાધુનિક થ્રીડી મેપિંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલિટી તેમ જ ઓડિયો-વીડિયો કન્ટ્રોલ લાઈટ સિસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે. ભારતના અલગ અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ પરિવારોનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવશે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં એક મ્યૂઝિયમ બનાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મ્યૂઝિયમમાં આવતા પ્રવાસીઓ દેશી રજવાડાઓના ઈતિહાસ, તેમની ગાથા, રજવાડાઓના ભવ્ય વારસા, કલાકારીગિરીની ચીજવસ્તુઓ નીહાળી શકશે.