અમદાવાદ-

સામાન્ય રીતે મારામારીના કિસ્સામાં કોઈ એવી બાબત હોય છે જેમાં કોઈએ કોઈને હેરાન અથવા તેની સાથે બોલાચાલી થઈ હોય ત્યારે મારામારી સુધી વાત પહોંચે છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને છીંક ખાવા મામલે પાંચ ભરવાડ શખ્સોએ માર માર્યો હતો. પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી છતાં પણ બીજા માણસો બોલાવી તેને માર મારી ફેક્ચર કરી નાખ્યું હતું.

નરોડા પોલીસે આ મામલે પાંચ શખ્સ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા શનિવારે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જમીન બાબતના કામકાજ અંગે નરોડા ગામમાં આવેલી મામલતદાર કચેરી ખાતે ગયા હતા.

બહાર સીડી નજીક આવતાં તેઓને અચાનક છીંક આવી હતી. છીંક આવતાં નજીકમાં ઉભેલા બે શખ્સમાંથી એક શખસે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી તેમ કરીને તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. યુવરાજસિંહે પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ બન્ને આરોપીઓએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.