અમદાવાદ-

આરોગ્ય કમિશનરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહી સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇને વેક્સિન લેનાર તમામ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે રસી લેનાર તમામ હેલ્થકેર વર્કર અને પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની અગત્યતા વિષે વિગતવાર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરીને વધુમાં વધુ લોકોને રસીકરણ માટે અપીલ કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે CISF ના જવાનોને કોરોના રસીકરણ માટે કુલ 8 કેન્દ્ર, અને અમદાવાદ સિવિલ સંકુલમાં NSG જવાનો માટે કુલ 4 જેટલા કેન્દ્રો ઉભા કરીને આજ રોજ 1000 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સીવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જવાનો માટે આજરોજ ઉભા કરાયેલ કોરોના રસીકરણ કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત લઈ કોરોના રસીકરણ સંપૂર્ણ સલામત હોવાની હૈયા ધારણા બાંધવામાં આવી હતી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં રસીકરણના 19માં દિવસે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળવારના રોજ આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરેની પ્રેરક ઉપસ્થિતીએ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં ઉત્સાહ પૂર્યો હતો.