મુંબઇ

એક્ટ્રેસ તન્વી ઠક્કર અને એક્ટર આદિત્ય કાપડિયાએ 16 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા છે. કપલે ધામધૂમથી નહીં પરંતુ સાદાઈથી જ લગ્ન કરી લીધા છે. 16 ફેબ્રુઆરીએ તન્વી અને આદિત્યએ કોર્ટ મેરેજ કર્યા છે. બાંદ્રા કોર્ટમાં તેમના લગ્ન થયા છે. આજે તન્વી અને આદિત્યએ પરિવાર અને મિત્રો માટે મુંબઈની એક હોટલમાં ડિનરનું આયોજન કર્યું છે.

લગ્ન માટે તન્વીએ પિંક સાડી પર પસંદગી ઉતારી હતી. ગુલાબી સાડીમાં તન્વી ખૂબસૂરત અને ખુશ લાગી રહી હતી. તો આ તરફ વરરાજા આદિત્યએ ઓફ-વ્હાઈટ કુર્તો-પાયજામો પહેર્યો હતો. સાડી વિશે વાત કરતાં તન્વીએ કહ્યું, "મેં મારા સાડીના પાલવમાં અમારી તસવીર પ્રિન્ટ કરાવી છે. પાલવ પર હું અને આદિત્ય છીએ. આદિત્યનો આઉટફિટ પણ મેં જ પસંદ કર્યો છે કારણકે તેનું માનવું છે કે હું સારા કપડાં સિલેક્ટ કરું છું."


આદિત્ય અને તન્વી હજી એ વાત પચાવી નથી શક્યા કે તેમના લગ્ન થઈ ગયા છે. આદિત્યએ કહ્યું, "અમે એકબીજાને 10 વર્ષથી ઓળખીયે છીએ માટે લગ્ન કરવા અમારા માટે નવાઈની વાત નહોતી. ઘણાં વર્ષોથી અમે લોકો દિલ અને મગજથી એકબીજાને પતિ-પત્ની જ માનીએ છીએ. હું ખુશ છું કે અમે સાદાઈથી લગ્ન કરી લીધા કારણકે હું શાંત વ્યક્તિ છું અને વધારે ભીડ પસંદ નથી. લગ્નના વચનો લેવા સુંદર અને મીઠો અનુભવ બની રહ્યો."

તન્વીએ જણાવ્યું, "જ્યારે કોઈએ 'મિસ્ટર અને મિસિસ કાપડિયા' કહ્યું ત્યારે મેં પાછું વળીને નહોતું જોયું. જો કે, થોડીવાર પછી હું એ વાત માની શકી કે મારા લગ્ન થઈ ગયા છે અને હવે અમે પતિ-પત્ની છીએ. હું ખુશ છું કે હું એવા વ્યક્તિને પરણી છું જે ઘણા વર્ષોથી મારો બેસ્ટફ્રેન્ડ છે."

આદિત્ય અને તન્વીએ હનીમૂન માટે કોઈ પ્લાન નથી બનાવ્યો. "અમે લગ્ન પહેલા જ ટૂંકા વેકેશન માટે દુબઈ ગયા હતા. હું કામના કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત છું અને તન્વી પણ લગ્ન પછી બિઝી થઈ જશે. એટલે જ અમે આ ટ્રીપ લગ્ન પહેલા કરી હતી", તેમ આદિત્યએ જણાવ્યું.

લગ્ન પહેલા મુંબઈની એક હોટલમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા હતા. હલદી અને મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં તન્વી હલ્દીના કલર સાથે યલો આઉટફિટમાં મેચિંગ કરતી જોવા મળી હતી જ્યારે તેના ફિયાન્સે આદિત્યએ યલ્લો અને વ્હાઈટ-ઓફ કલરનો કૂર્તો અને પાયજામો પહેર્યો હતો. તન્વીના પ્રી-વેડિંગ ફંક્શનમાં ટીવી એક્ટ્રેસ વ્હાબિઝ દોરાબજી, સુનૈના ફોજદાર અને ઈશિતા દત્તા હાજર રહી હતી.