રાજકોટ, રાજકોટ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા કોળી દંપતી વચ્ચે ઝઘડો થતાં રાત્રિનાં સમયે વાસણ સાફ કરતી પત્નીને પતિએ દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પસ્તાવો થતા વહેલી સવારે પતિએ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી. આ મામલે ઘવાયેલી પત્નીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો છે. સમગ્ર મામલે બી-ડીવીઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.સંતકબીર રોડ પર શાકમાર્કેટ નજીક શેરી નં.૧૭માં રહેતા સરોજબેન હરીભાઇ સીતાપરા (ઉ.વ.૪૦) પોતાના ઘરે રાત્રિનાં સમયે વાસણ સાફ કરતા હતા ત્યારે તેમના પતિએ દસ્તાના આડેધડ ઘા ઝીંકી દેતા તેમને ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. જેમાં પતિ પત્ની સરોજ પાસેથી રૂા.૧૦૦ માંગતો હતો. આથી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. જેથી હરીભાઇએ ઉશ્કેરાયને પત્નીને દસ્તાના ઘા ઝીંક્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ ખોટી એન્ટ્રી પડાવી કે પત્ની પગથીયા પરથી પડી ગઇ છે. ત્યારબાદ પતિ હરીભાઇને પસ્તાવો થતાં વહેલી સવારે પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હરિભાઇ અને તેમને પત્ની સાથે ઝઘડો થતો રહેતો હતો.