અમદાવાદ-

અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે એએમસી  હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. નોંધનીય છે કે, કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.

દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે અધિકારીના જણાવ્યા મુજબ દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી ન હતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યુ છે તો લોકો સહકાર આપે. મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી હતી. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી હતી. અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.