અમદાવાદ-

અનલૉકની પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ થઇ ગયા બાદ કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ લાગતું હતું, પરંતુ તહેવારોમાં લોકોએ લીધેલી વધારે પડતી છુટછાટોના કારણે અને શિયાળાની શરૂઆતે જ શહેરમાં સંક્રમણ વધી ગયું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત કેસોમાં વધારો થતો જાય છે. આ કારણે તબીબો, તંત્ર અને નાગરિકોમાં ચિંતા વધતી જાય છે. શુક્રવારની રાત્રે કરફ્યૂ જાહેર થયા બાદ શહેર આખાયના વેપારથી ધમધમતા બજારો બંધ રહ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં હોમગાર્ડઝ, પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં તમામ માર્ગો પર પોલીસ દ્વારા બેરિકેડ મુકી રાહદારીઓ અને વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દૂધ, દવા , આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જવા દેવામાં આવતા હતા. રેલવે, વિમાન અને બસોની મુસાફરી કરી આવતા પ્રવાસીઓની ખરાઇ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવતો હતો. સંચારબંધીમાં તમામ વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહી, પરંતુ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે