અમદાવાદ -

કોરોનાની સ્થિતિને જોતાં અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી તા. ૨૩મીએ સોમવારે સવારે 6 વાગ્યા સુધી ૬૦ કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ શહેરના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારથી જ લોકોએ શાકભાજી, કરીયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા દોડ મૂકી હતી. ઘણી જગ્યાએ સ્થિતિ કાબૂ બહાર બની હતી. જ્યારે સ્ટોર્સ, શાકમાર્કેટ, મોલ સહિતના સ્થળોએ લાંબી કતારો જોવા મળી હતી. 

નિયમોનું પાલન તો દૂર, લાંબી કતારો અને ધક્કામુક્કી જોવા મળી હતી. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને જોતાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ લોકોએ કર્ફ્યુના ડરે પડાપડી કરી છે. આવામાં લોકો જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે લાંબી કતારો બનાવીને ઊભેલા નજરે પડ્યાં હતાં. આટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ દો દૂરની વાત છે, પરંતુ લોકોએ ખરીદી કરવા માટે ધક્કામુક્કી કરી હતી.

પશ્ચિમ અમદાવાદના શ્યામલ ખાતે આવેલા ડી માર્ટ સ્ટોરને અનિયંત્રિત ભીડના કારણે સીલ કરાયો છે. અહીં વહેલી સવારથી જ લોકોની ભીડ જામી હતી. લાંબી કતારો બાદ સ્થિતિ અનિયંત્રિત થતાં છેવટે સ્ટોરને સીલ કરવાની પરિસ્થિતિ ઊભી થઇ હતી. AMCએ શહેરના બજારોમાં કર્ફ્યૂને પગલે ખરીદી માટે ઉમટેલી ભીડને નિયંત્રણમાં લેવા પગલાં લેવાની શરૂઆત કરી છે.