ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ અમદાવાદથી સુરત થઈને રાજકોટ તરફ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદની ફોમ્ર્યુલાથી જ સુરત અને રાજકોટમાં પણ કેસ ઘટાડવાની કામગીરી ચાલી રહી છે. તેમાં પણ સુપર સ્પ્રેડરને શોધવાથી માંડીને સંક્રમિત સહિતના કન્ટેઈનમેન્ટ ઝોનમાં ધન્વંતરી રથ ફેરવવામાં આવશે. રાજ્યનો આરોગ્ય વિભાગ અમદાવાદ પેટર્ન પર સુરત અને સૌરાષ્ટ્રમાં કામગીરી માટે એક્ટિવ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણે દિશા બદલીને અમદાવાદ બાદ અને સુરત અને સૌરાષ્ટ્ર બાજુ સતત વધી રહેલા સંક્રમણને ડામવા માટે અમદાવાદ જેવી સફળ ફોમ્ર્યુલા પણ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યાં નિયંત્રણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ બાદ સુરત અને સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસો સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે. તમામે ત્યાં અધિકારીઓ સાથેની બેઠકમાં જે રીતે અમદાવાદમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. તેને ડામવા માટે જે ફોમ્ર્યુલા અપનાવાઇ તે સુરત અને સૌરાષ્ટ્રમાં અપનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના ભાગરૂપે કોરોનાના સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળા, દૂધવાળા સહિતના લોકોને ખાસ પાસ આપીને તેમના ટેસ્ટ કરવા તથા તેમાં જે પોઝિટિવ જાહેર થાય તેને અલગ કરીને કોરોના સંક્રમણની કડી અટકાવવા જણાવ્યું હતું.

આ ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં ટેસ્ટ વધારવા પણ ર્નિણય લેવામાં આવ્યો હતો, જેટલા પોઝિટિવ કેસ નીકળે તેના ૧૦ ગણા સુધી ટેસ્ટ થશે તેની સૂચના આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં આગામી એક પખવાડિયામાં કોરોનાનું સંક્રમણ પૂર્ણ રીતે કાબુમાં આવી જાય તે રીતે સારવાર સહિતની કામગીરી હાથ ધરવાની વ્યૂહરચના રાજ્ય સરકારે અપનાવી છે.