ગાંધીનગર,

અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની મિલકતો EDએ ટાંચમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ પૂર્વ IAS ગુપ્તાની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. ગુપ્તા વિરુદ્ધ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સંજય ગુપ્તા સહિત ગુજરાતના અન્ય લોકોની સંડોવણી હોવાની ચર્ચા ચાલી રહી છે. 1985 બેચનાં IAS અધિકારી રહી ચૂકેલા ગુપ્તાની આ સંપત્તિ અમદાવાદ, દહેજ અને નોઇડામાં આવેલી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં અમદાવાદની હૉટલ, દહેજના સેઝમાં આવેલા ઇન્ડસ્ટ્રી પ્લોટ, નોઇડાનાં ફ્લેટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીંય છે કે ગતવર્ષે જ ઇડીએ ગુપ્તા અને પરિવાર સાથે સંકળાયેલી આશરે 36.12 કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી. પૂર્વ IAS ગુપ્તા પર ગાંધીનગરથી અમદાવાદને જોડતી મેટ્રો રેલ લિંકનાં પ્રોજેક્ટમાં આશરે 113 કરોડ રૂપિયાની ઉતાપત કરી હોવાનો આક્ષેપ છે જેમાં તેમની પહેલા ધરપકડ પણ થઇ ગઇ હતી. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતના પૂર્વ IAS ગુપ્તાની કંપનીને સોંપવામાં આવી હતી. સંજય ગુપ્તાએ જુદી-જુદી બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવી ખરીદી કર્યા વગર બોગસ બિલો જનરેટ કરી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હતા. જે સામે આવતા સંજીવ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદો નોંધાઇ હતી. જે બાદ અમદાવાદ EDએ પણ મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી.