અમદાવાદ-

શહેરના ચાંદલોડિયા, સોલા સહિતના વિસ્તારોમાં અપહરણ ધાક-ધમકી અને ખંડણી સહિતના ગુનામાં કુખ્યાત એવા પ્રદીપ ઉર્ફ માયા ડોનની બનેવી અનિશ પાંડેએ તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. સાળા-બનેવી વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ બાબતે સમાધાન કરાવવા રાતે 2 વાગે અનિશ અને પ્રદીપ મળ્યા હતા. સમાધાનની વાતમાં ફરી ઉગ્ર બોલાચાલી થતા અનિશ પાંડે ત્યાંથી નીકળી ગયો હતો.

વહેલી સવારે 5થી6 આસપાસ અનિશ સાગરીતો સાથે મળી ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ ફરાર થયા હતા. આ અંગે જાણ થતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ કરવામા આવી રહી છે. મૃતક પ્રદીપ ઉર્ફે માયા ડોન વિરુદ્ધ અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા 15 જેટલા ગુના સોલા સહિતના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તાજેતરમાં જ માયા ડોને વટવાના એક ફાર્મ હાઉસના માલિકને ફોન કરી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.