અમદાવાદ,

રાત્રે નવ વાગ્યા બાદ ઘરની બહાર લટાર મારવા નીકળી પડતા લોકો પર પોલીસે સખ્તી બોલાવી છે. અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા તેમજ સિંધુભુવન રોડ પર પોલીસે કડક કાર્યવાહી કરી રાત્રે ફરવા નીકળતા લોકોને અટકાવી ૨૦૦ જેટલા કાર ચાલકો સામે કાર્યવાહી હાથ ધરીને દંડ વસૂલ્યો હતો. લોકડાઉનમાં હવે મોટી છૂટછાટો મળવાથી હવે દિવસના સમયે ગમે ત્યાં ફરી શકાય છે. જાકે, રાત્રીના ૯ વાગ્યાથી જ સમગ્ર દેશમાં કરફ્યુનો અમલ શરુ થઈ જાય છે, જે આ મહિનાના અંત સુધી ચાલવાનો છે. પરંતુ રાત્રી કરફ્યુની મજાક ઉડાવતા હોય તેમ કેટલાક લોકો ગાડી લઈ ફેમિલી સાથે જ ફરવા નીકળી પડે છે.

આમ તો અમદાવાદમાં લોકડાઉનનું પ્રજાએ સારી રીતે પાલન કર્યું હતું, લોકો રાત્રી કરફ્યુને પણ અનુસરતા હતા. જાકે, પોલીસના ધ્યાને આવ્યું હતું કે પશ્ચિમ વિસ્તારમાં રાત્રી કરફ્યુની ગંભીરતા ધીરે-ધીરે ઘટી રહી છે. જેથી લોકોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે રાત્રે ૯ વાગ્યાથી ડ્રાઈવ શરુ કરી કામ વિના બહાર નીકળેલા લોકોને અટકાવ્યા હતા. મંગળવાર ઉપરાંત બુધવારે પણ આનંદનગર અને વસ્ત્રાપુર પોલીસ દ્વારા રાત્રી કરફ્યુનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે રસ્તા પર જ ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પોલીસની ડ્રાઈવ દરમિયાન જેમની પાસે ગાડીના ડોકયુમેન્ટ કે લાઈસન્સ નહોતા તેમની સામે પણ અલગથી કાર્યવાહી કરાઈ હતી.