અમદાવાદ-

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. આથી પોલીસ દ્વારા સતત આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા ૧૩૨૮ લોકોને ઝડપીને તેમની પાસેથી ૧૩.૨૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ છતાં કામ વિના રાત્રે ૯ વાગ્યા બાદ ફરવા નીકળેલા ૧૭૨ લોકો વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે લોકોને માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. માસ્ક વિના ફરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે શહેરના દરેક ચાર રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના દરેક વિસ્તારમાં ભરાતા શાક માર્કેટ સહિતના બજારોમાં પોલીસ સતત ચેકિંગ કરીને માસ્ક વિના ફરી રહેલા લોકો પર કાર્યવાહી કરી રહી છે.