અમદાવાદ- 

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે લોકોને સામાજિક પ્રસંગ યોજવા માટે અનેક મુશ્કેલી સાથે અસમંજસ છે. ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ પાસે લગ્ન સહિત સામાજિક પ્રસંગ યોજવા માટેની ૩૮૦ અરજીઓ આવી છે. તો બીજી તરફ અમદાવાદ પોલીસ દ્વારા તમામને મંજૂરી પણ આપી દેવાઈ છે. તેમજ પ્રસંગમાં વાનગી સાથે માસ્ક અને સૅનેટાઇઝરનું પણ ટેબલ રાખવા સૂચન કર્યું છે.

છેલ્લાં ચાર દિવસમાં અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૩૮૦ અરજીઓ આવી છે. આ અરજીમાં લગ્ન સહિત યજ્ઞ, કથા, સીમંત સહિતના સામાજિક પ્રસંગ યોજવા માટે મંજૂરી માંગવામાં આવી છે. ત્યારે આ તમામ અરજદારોએ પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ મંજૂરી પણ આપી છે.

ત્યારે અમદાવાદ શહેર પોલીસનું તમામ અરજદારોને એક સૂચન પણ છે કે, પ્રસંગમાં અલગ અલગ વાનગીના ટેબલ સાથે માસ્ક અને સૅનેટાઇઝરના ટેબલ પણ પ્રવેશદ્વાર પ્રથમ રાખવામાં આવે અને સરકારે ભલે ૧૦૦ લોકોની મંજૂરી આપી છે. પણ શક્ય હોય ત્યાં સુધી ઓછા લોકોએ ભેગું થવા સૂચન કર્યું છે.