અમદાવાદ -

દિવાળી બાદ ફરી એકવાર અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.જેને પગલે અમદાવાદમાં સરકારે આજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સતત કર્ફ્યું લાગ્યો છે. અને ત્યારબાદ રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી આગામી ૩૦ નવેમ્બર સુધી કર્ફ્યું રહેશે. હવે માસ્ક અને કોરોના ગાઈડલાઈન્સ ના પાલન બાબતે પણ સરકાર સક્રિય બની છે. અને ફરીએકવાર જાહેરમાં માસ્ક નહી પહેરનારા ઉપર સરકાર કડક કાર્યવાહી કરવાના મુડમાં છે.

અમદાવાદમાં જો માસ્ક પહેર્યા વગર ફરશો તો મસમોટો દંડ ભરવો પડી શકે છે તેમજ ફરિયાદ પણ દાખલ થઇ શકે છે. કર્ફ્યું સાથે જ દિવસ દરમિયાન માસ્ક ના પહેરનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધશે. 

કોરોનાથી લોકોને બચાવવા કાયદાકીય કાર્યવાહીના સાત મહિનામાં પોલીસે 31 હજાર લોકો સામે ગુનો નોંધ્યો હતો જ્યારે 40 હજારથી વધુ લોકોની અટકાયત અથવા ધરપકડની કાર્યવાહી કરી હતી. બુધવારે લોકડાઉનનો ભંગ કરવા બદલ 9 લોકો સામે અને માસ્ક ના પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 101 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી વસૂલાત કરવામાં આવી હતી.