અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદના ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને સભ્યો દ્વારા આઈઆઈએમ અમદાવાદ સાથે સંકળાયેલા તમામ લોકોને પત્ર લખી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પ્રક્રિયા હાલ રોકી દેવાની જાણ કરવામાં આવી છે. આઈઆઈએમ અમદાવાદના ગવર્નિંગ બોર્ડ દ્વારા કુલ ૧૮ લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગોમાંથી અંદરની બાજુએ આવેલી ૧૪ ડોર્મેટરી બિલ્ડીંગોને તોડી નવું બાંધકામ કરવાનો ર્નિણય લેવાયો હતો. આ માટે આઈઆઈએમ એના સત્તામંડળ દ્વારા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પ્રક્રિયા એટલે કે, નવી હાઉસીંગ બિલ્ડીંગોના ડિઝાઈન-બાંધકામ માટે ટેન્ડર-અરજીઓ મંગાવવામાં આવી હતી. દરમિયાન આ સમગ્ર પ્રક્રિયા બાબતે આઈઆઈએમ એના ડિરેકટરે પૂર્વ વિદ્યાર્થીઓને પત્ર લખી જાણ કરી હતી.  

પરંતુ આર્કિટેક્ટ લુઈસ કહાનના સંતાનો અને પૂર્વ વિદ્યાર્થીઓથી માંડી ફોરેન યુનિવર્સિટીઓ તેમ જ આર્કિટેક્ચર એક્સપર્ટસ સહિતના નિષ્ણાતો, શિક્ષણવિદો અને બિઝનેસ લીડર્સ દ્વારા બિલ્ડીંગોના ડિમોલિશનનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ બાબતે બોર્ડ ચેરમેન તેમ જ ડિરેક્ટરને પત્રો લખી તાકીદે પ્રક્રિયા રોકવા માગ કરવામા આવી. હતી. આમ, વૈશ્વિક સ્તરે વિવાદ અને આકરી ટિકા થતા અંતે આઈઆઈએમ અમદાવાદના સત્તામંડળ દ્વારા હિસ્ટોરિકલ લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તોડવાનો ર્નિણય હાલ પાછો ખેંચવામા આવ્યો છે. બોર્ડ મેનેજમેન્ટના ચેરમેન અને ગવર્નિંગ બોર્ડના સભ્યો દ્વારા તમામ સ્ટેક હોલ્ડર્સને પત્ર લખી જાણ કરવામા આવી છે કે, અગાઉ એક્સપટ્‌ર્સ પાસે ઓપિનિયન લેવાયો હતો અને પ્રયાગરૂપે ૧૫ નંબરની બિલ્ડીંગનુ રિસ્ટોરેશન પણ કરવામાં આવ્યું હતું,

પરંતુ ત્યારબાદ પણ વિદ્યાર્થીઓને રહેવા માટે તે સુરક્ષિત ન હોવાનું એક્સપટ્‌ર્સે જણાવ્યું હતું. આથી છેલ્લા કેટલાક સમયમાં લુઈસ કહાન બિલ્ડીંગનો મુખ્ય ભાગ, લાયબ્રેરી ,ફેકલ્ટી વિંગ્સ તથા કલાસરૂમ કોમ્પલેક્સ અને ૧૬થી ૧૮ નંબરની ડોર્મેટરી બિલ્ડીંગોનું રિસ્ટોરેશન કરવાનો અને બાકીના ડોર્મ્સ રીકન્સ્ટ્રક્ટ કરવાનો ર્નિણય લેવાયો હતો. આ મુદ્દે આવેલા પત્રો અને તેમાં અમને કરવામાં આવેલા સૂચનો તથા બધાની લાગણી જાેતા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ વિડ્રો કરવામાં આવે છે. હવે અમે અમને મળેલા સૂચનો-મંતવ્યોનો અભ્યાસ કરીશું, મંતવ્યોનું ફરી મૂલ્યાંકન કરીશું, વિશ્વના શ્રેષ્ઠ કન્ઝર્વેશન એન્ડ સ્ટ્રકચરલ એક્સપ્રર્ટસનો સંપર્ક સાધીશું અને ત્યારબાદ આગળની પ્રક્રિયા કરીશું અને જે માટે યોગ્ય પ્લાનિંગ કરીશું એમ આઈઆઈએમનું કહેવું છે.