ભાવનગર-

યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ફરી એકવાર વિવાદના વમળમાં અટવાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં વિરાટ યુદ્ધ જહાજને મ્યુઝીયમમાં ફેરવવા માટે ભાંગવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. જેના વળતાં જવાબમાં શીપ કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિપ્લાય પિટિશન ફાઈલ કરવાની તૈયારીઓ શરૂ કરીને વિરાટ માટે અદાલતના દરવાજા ખટખટાવશે. આમ આ જહાજ અલંગના દરિયા કિનારે આવેલાં જહાજવાડામાં ૪૫ ટકા ભંગાઈ ગયું છે. ત્યારે ફરીથી કાનૂની લડાઈમાં ફસાયું છે. જાે કે આ જહાજ અડધું ભંગાઈ ગયું હોવાથી તેનો ભંગાર પણ વેચાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

એનવીટેક મરીન કન્સલ્ટન્ટ્‌સ પ્રા.લિ. દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ યુદ્ધ જહાજને ભાવનગર પાસેના અલંગ ખાતેના શ્રીરામ ગ્રૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના પ્લોટમાં ભંગાવા લાવવામાં આવ્યું છે. આ જહાજ અંદાજે ૪૫ ટકા જેટલું ભંગાઈ ગયું છે. આ જહાજ ઐતિહાસિક યુદ્ધ જહાજ છે અને ૫૬ વર્ષ સુધી દેશની સુરક્ષાની સેવા કરી છે. ૧૮ હજાર કરોડના આ જહાજને શ્રી રામ ગ્રૃપ દ્વારા ૩૮ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. આઈએનએસ વિરાટ જહાજનો કાનૂની વિવાદ ઉભો થયો છે. જ્યારે વાસ્તવિકતા જૂદી છે.

આ જહાજ અંદાજે ૪૦થી ૪૫ ટકા ભંગાઈ ગયું છે. તેનો ભંગાર વેચાઈ ગયો છે. તે અહીથી રવાના પણ થઈ ગયો છે. જહાજમાંથી સ્ટીલ, લોખંડની પ્લેટ, મેટલ, કેબલ, ઈલેક્ટ્રીક સામાન અને ફર્નિચર પણ ભંગારરૂપે બહાર કાઢીને વેચી દેવામાં આવ્યો છે. જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારના મોતી તળાવ ખાતેના વીઆઈપી ડેલામાં ભંગાર નજરે પડે છે. જેમાં ઈલેક્ટ્રીકનો સામાન અહીં પડેલો જાેવા મળે છે.