માણાવદર, માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ગત ૫ જાન્યુઆરીએ ૫૩ પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને ગુજરાતભરના તમામ પક્ષી અભયારણ્યો અને ઝૂમાં રખાયેલા પક્ષીના વિભાગો મુલાકાતીઓ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળે પણ પક્ષીઓના મોતના સમાચાર આવી રહ્યાં હોવાથી રાજ્ય સરકારે સાવચેતીનાં પગલાંની જાહેરાત કરી છે. 

માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટિટોડી, બગલી, બતક, નકટો સહિતનાં ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ ૫ જાન્યુઆરીએ મળ્યા હતા. તેના નમુના જૂનાગઢ ત્યાંથી અમદાવાદ અને ત્યાંથી પરીક્ષણ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. આજે ભોપાલથી એક પક્ષી ટિટોડીના નમુનામાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન તા. ૫ જાન્યુઆરી બાદ મૃતદેહો મળ્યા ત્યાંથી આસપાસની ૧૦ કિમીની ત્રિજીયામાં બીજા એકપણ પક્ષીનો મૃતદેહ મળ્યો નથી. અને હજીય સર્વેલન્સ ચાલુ છે.

એમ માણાવદરના વેટરિનરી ઓફિસર ડો. પનારાએ જણાવ્યું હતું. બર્ડ ફ્લૂને લઇ રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને રાજ્યના તમામ પક્ષી અભયારણ્ય અને પ્રાણી સંગ્રહાલયોમાં પક્ષીઓના વિભાગમાં મુલાકાતીનો પ્રવેશ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેના અનુસંધાને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પણ તાકીદની અસરથી પક્ષીઓના વિભાગમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરાયાનું આરએફઓ નીરજ મકવાણાએ જણાવ્યું હતું.