ગાંધીનગર, ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલ દ્વારા શુક્રવારના રોજ પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરાઈ છે, તેમજ વિવિધ મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ પાટિલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને જે તે ઝોનની ફાળવણી કરવામાં આવી છે, તેમાં પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, અમદાવાદ મહાનગર અને પ્રદેશ કાર્યાલયની, ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન, રજનીભાઈ પટેલને કચ્છ અને ઉત્તર ઝોન અને વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટ (રાજકોટ જિલ્લો), મહિલા મોરચાના પ્રમુખ તરીકે પ્રો. ડૉ. દિપીકા સચિન સરડવા (અમદાવાદ), અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ડૉ. પ્રદ્યુમન વાઝા (અમદાવાદ), અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે હર્ષદ વસાવા (નર્મદા), કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ (સાબરકાંઠા), બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ઉદય કાનગડ (રાજકોટ શહેર) અને લઘુમતી મોરચાના પ્રમુખ ડૉ. મોહસીન લોખંડવાલા (સુરત શહેર)ની નિમણૂક કરવામાં આવી છે.