આણંદ-

કોરોનાના કારણે મોટા મોટા ધંધા પડી ભાંગ્યા છે. હવે આની અસર ખંભાતના પતંગ ઉદ્યોગને પણ થઈ છે. ખંભાતમાં 10 મહિના દરમિયાન પતંગ ઉદ્યોગ પર આજીવિકા મેળવતા વેપારીઓના ધંધા રોજગાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચાલુ વર્ષે 25થી 30 ટકા જેટલી વેપારીઓને ખોટ સાંપડી છે ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ, આ વર્ષે ખંભાતની પરંપરાગત દરિયાઈ ઉત્તરાયણ પણ બંધ રાખવા કલેક્ટરે પ્રતિબંધ ઠેરવ્યો છે. વેપારીઓ સહિતના પતંગ રસિકોમા આ સમાચાર મળતા નિરાશા વ્યાપી છે.ખંભાત ચીફ ઓફિસર જે. જી ડાભીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પરંપરાગત દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેશે. સદર સૂચનાનો અમલ નહીં કરનાર સામે જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવશે.

ખંભાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બાદના પ્રથમ રવિવારે ખંભાતના શહેરીજનો દરિયાકિનારે જઈને પતંગ ઉડાડી દરિયાઈ ઉત્તરાયણ ઊજવતા હોય છે. આ ઉપરાંત પતંગના ધંધામાં ઉત્તરાયણના છેલ્લા દિવસો સુધી કામ કરતા વેપારીઓ પણ પોતે બનાવેલી મોટી પતંગો દરિયે જઈ ઉડાવેે છે. આ દિવસે લાખોની સંખ્યામાં જનમેદની ખંભાતના દરિયાકિનારે ઉમટે છે.