અરવલ્લી, તા.૨૬ 

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે સતત વધી રહેલા કોરોનગ્રસ્ત દર્દીઓને પગલે જીલ્લામાં અત્યાર સુધી ૨૦૫ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાં ૧૮ લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ભય ફેલાયો છે મોડાસા શહેરની સર્વોદય સહકારી બેંકમાં રિટાયર્ડ ઓફિસર અને હાલમાં બેંકના લાઈટબીલ કલેક્શનમાં માનદ સેવા આપતાં ૫૯ વર્ષીય લિયાકત સૈયદ નામના કર્મચારીનું કોરોનાથી મોત નિપજતાં ભારે ચકચાર મચી છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ રોજે રોજ કેસોમાં વધારો થતો જાય છે. જેના કારણે જિલ્લાના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જિલ્લામાં શુક્રવારના ગારુડી ગામે આધેડ કોરોના ગ્રસ્ત બન્યો હતો જિલ્લામાં કોરોનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે અરવલ્લીમાં કોરોના કેસ આવવા પાછળ તંત્રની સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે. મોડાસા શહેરમાં જ અત્યાર સુધી ૯૭ ને આંકડો અડી ગયો છે. શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બનયો હોય તેમ મોડાસા ઉત્તર ગુજરાતમાં નં-૧ પર પહોંચી શકે છે. સતત વધી રહેલા કેસથી જિલ્લાનું તંત્ર પણ ઉંધા માથે પછડાયું છે. કોરોનાનો કહેર દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને રાજસ્થાનની વચમાં પીસાયેલ અરવલ્લીમાં બંને બાજુથી આવનાર લોકો કોરોના લઈને આવી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જિલ્લામાં લોકડાઉન ૧ થી લઈને લોકડાઉન ૩ સુધીમાં અધધ કહી શકાય એટલા કેસોમાં વધારો થયો છે. આરોગ્ય તંત્ર અને લોકોની ઢીલી નિતિને કારણે જિલ્લામાં ઉત્તરોત્તર કેસોમાં વધારો થયો છે.