અરવલ્લી, તા.૧૧ 

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકના અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયત ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા અરવલ્લી એસીબીના પીઆઈ સી.ડી. વણઝારાએ અને તેમની ટીમે છટકું ગોઠવી ઝડપી લીધો હતો.એસીબીની ટ્રેપ થતા તલાટી કમ મંત્રી ગિરીશ લક્ષ્મણભાઈ પટેલને લાંચ લેવાનો નશો ઉતરી ગયો હતો. એસીબીની સફળ ટ્રેપથી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

વિજયનગર તાલુકાનાં અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ગીરીશભાઈ લક્ષ્મણભાઈ પટેલે એક જાગૃત નાગરિક પાસેથી મિલ્કતમાં વારસાઈ કરાવવાના કામકાજ અર્થે ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતા સમસમી ઉઠ્‌યો હતો તલાટીએ જાગૃત નાગરિકને મિલ્કતમાં વારસાઈ કરાવવાની હોય જે અંગે પેઢીનામુ તેમજ વારસાઈમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી કરવા માટે ધરમધક્કા ખવડાવતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચિયા તલાટી કમ મંત્રીને સબક શીખવાડવા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું.અરવલ્લી એસીબીની ટ્રેપ અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા ૧૦ હજાર રૂપિયા લેતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને એસીબીએ વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.