દિલ્હી-

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ગઇકાલે કેન્દ્રીય કેબીનેટના સિનિયર મંત્રી તથા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિતીન ગડકરી કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ આજે કેન્દ્રના સંસ્કૃતિ અને પર્યટન વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેઓએ પોતાના ટવીટર હેન્ડલ પર આ માહિતી આપતા જણાવ્યું કે, મને કેટલાક લોકો મંગળવારે મળ્યા હતા અને પછી અસ્વસ્થતા અનુભવતા મેં મારો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં હું પોઝીટીવ જાહેર થયો છું અને મેં ખુદને ક્વોરન્ટાઈન કરી લીધો છે. મોદી સરકારમાં અગાઉ ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગ્રામીણ વિકાસના અર્જુન મેઘવાલ ને કૃષિ રાજ્યમંત્રી નરેન્દ્રસિંહ શેખાવત પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા જ્યારે ગઇકાલે નિતીન ગડકરી પોઝીટીવ જાહેર થતા સરકારની ચિંતા વધી ગઇ છે. એક તરફ જ્યારે સંસદનું સત્ર કોરોનાના તમામ પ્રોટોકોલ સાથે મળી રહ્યું છે તે વચ્ચે મંત્રીમંડળમાં જ પોઝીટીવ કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં પ્રદેશ ભાજપના પ્રમુખ આદેશકુમાર ગુપ્તા પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતાં.