વડોદરા, તા.૮

શહેરના મકરપુરા જીઆઈડીસી વડસર બ્રિજ નીચે આવેલ દવાનું રો-મટિરિયલ બનાવતી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં ગત તા.ર૪મી ડિસેમ્બરના રોજ સવારે બોઈલર ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર વ્યક્તિઓ જીવતા ભુંજાઈ હતી અને કેટલીક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં વધુ એક વ્યક્તિ એટલે કે મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આમ કેન્ટોન કંપનીમાં બ્લાસ્ટનો મૃત્યુઆંક પાંચ થયો છે.

આ બનાવની વિગત મુજબ મકરપુરા જીઆઈડીસી વડસર બ્રિજ નીચે દવાનું રોમટિરિયલ બનાવતી કેન્ટોન લેબોરેટરીઝ નામની કંપની આવેલ છે. આ કંપનીમાં ગત તા.ર૪મી ડિસેમ્બરના રોજ રોમટિરિયલનું ઉત્પાદન ચાલી રહ્યું હતું અને કંપનીમાં કર્મચારીઓ તેમની કામગીરીમાં વ્યસ્ત હતા, તેવા સમયે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ કંપનીના બોઈલરમાં પ્રચંડ ધડાકા સાથે બોઈલર ફાટવાનો બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારી ઘટનામાં કંપનીની ઓરડીમાં રહેતો શ્રમજીવી પરિવાર સહિત ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને કેટલાક શ્રમજીવીઓ દાઝી ગયા હતા. તેઓને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈ (ઉં.વ.૩૦)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચ્યો હતો. માંજલપુર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.