ગાંધીનગર-

આજે આખા વિશ્વમાં “ડીજિટલ ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે નાગરિકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપિંગ, રિચાર્જ, નાણાંની ચૂકવણી, ઇ-મિટિંગો, વેબિનાર જેવી ડિજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલોજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઇ રહી છે. આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનનો શરૂ કરવા માટે સાણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ (ગાંધીઘામ) અને બનાસકાંઠા એમ કુલ ૧૦ જિલ્લાઓમાં પણ સાઈબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા છે. આ ર્નિણયથી સાઈબર ક્રાઈમના ગુનાઓ અટકશે.

ગૃહમંત્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, સાઈબર ક્રાઈમને સંબંધિત ગુનાઓને રોકવા અને આ ગુનાઓને ઉકેલવા માટે રાજ્ય કક્ષાએ સીઆઈડી ક્રાઈમની કચેરીઓમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક ૧ સાઈબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સાઈબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. રાજ્યની ૯ રેન્જ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાઈબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયા છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ૮,૩૨૭૮ નાગરિકોના રૂપિયા ૧૮.૧૧ કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.