દેવભૂમિ દ્વારકા,તા.૨૫ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાંથી આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ખંભાળિયાના ધરમપુરમાં બામબૂડીની ધારે પાણીના ખાણના ખાડામાં નાહવા જતા ૪ યુવાનો ડૂબી જવાના કારણે તેમનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ચારેય

મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખંભાળિયા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે ૩ કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખંભાળિયાથી ૬ કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં ૧૫થી ૨૦ ફૂટ જેટલુ પાણી ભરેલુ છે.જેમાં આજે સવારે ૭ વાગ્યે ભાણજી મનજી નકુમ (ઉં.વ.૫૫) સાથે તેમના ત્રણ ભત્રીજા જયદીપ મુકેશભાઈ નકુમ (ઉં.વ.૧૬), ગીરીશ મુકેશભાઈ નકુમ (ઉં.વ.૧૬) અને રાજકીશોર નકુમ (ઉં.વ.૧૫) સાથે નાહવા ગયા હતાં. જ્યાં ચારેયનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. . આ ઘટનાની જાણ ખંભાળિયા નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ચાર વ્યક્તિની બોડીને પાણીમાંથી કાઢી હોસ્પિટલ લઈ જવાઈ છે. આ ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે.