વડોદરા

પક્ષીતીર્થ વઢવાણા તળાવ ખાતે કરવામાં આવેલી ૨૯મી પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિના અંદાજિત ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયાં હતાં. મહત્ત્વનું છે કે યુરોપીય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે. જેથી વર્ષ ૨૦૦૨થી વઢવાણા જળપ્લાવિત વિસ્તાર ખાતે પક્ષીગણના કરવામા આવે છે.

જાંબુઘોડાના આરએફઓ અને વન્યપ્રાણી વિભાગના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલ કહે છે કે, આ વર્ષે પક્ષીગણનાની ખાસ બાબત એ રહી કે ત્રણ નવા પક્ષીઓની પ્રજાતિ જાેવા મળી છે. તેમાં ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં જાેવા મળતું બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયામાં જાેવા મળતું ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ અને ભારત સહિત ચીન, પાકિસ્તાન, મ્યાંનમાર તથા શ્રીલંકામાં વસવાટ કરતું શાહીન ફાલ્કન જાેવા મળ્યું હતું જે દર્શાવે છે કે હજારો કિલોમીટરની ઉડાન ભરી પક્ષીઓ વઢવાણા જળપ્લાવિત વિસ્તારમાં ખાસ તો શિયાળો ગાળવા આવે છે. રાઉલ વધુમાં ઉમેરે છે કે, આ વર્ષે ઓછી પક્ષી ગણનાનો આંકડો આવવા પાછળ ખાસ તો વાતાવરણ જવાબદાર છે. ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ ઘણાં પક્ષીઓને અનુકૂળ આવતું નથી. જેથી આ પક્ષીઓ નજીકના વિસ્તાર અને નાના તળાવમાં ખોરાકની શોધમાં નીકળી પડતા હોય છે. ઉપરાંત વઢવાણા તળાવમાં પણ પાણી વધારે ભરેલ હોવાથી ઓછી પક્ષીગણના થઈ હોવાનું કારણભૂત છે. જાે કે, તા.૩૧ ડિસેમ્બર સુધીમાં વન વિભાગના સ્થાનિક કર્મચારી-અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પક્ષીગણનામાં ૧૩૯ પ્રજાતિના અંદાજિત ૭૨,૦૦૦ પક્ષીઓ નોંધવામાં આવ્યાં હતાં. ખાસ તો જાન્યુઆરીના અંતિમ પખવાડિયામાં હજુ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જાેવા મળે એવી પૂરી સંભાવના છે.