રાજકોટ, રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વેચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે જેથી સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જાે કે બે દિવા પૂર્વે ગુંડાઓની જેમ ઘસી આવી ૫ જેટલા શખ્સોએ નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે ૫ જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ બનાવના પગલે ચાર જેટલા સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી અવિનાશ ધૂલેસીયા નામના કારખાનેદારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ આઇપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગત મંગળવારે રાતે ૧ વાગ્યાની આસપાસ ભૂમાફિયાઓએ પથ્થરમારામાં અવિનાશભાઇ ધૂલેસીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાે કે, ૪૮ કલાકની ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી હવે આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસ દ્વારા રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીઓ રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે ત્યારે હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરો કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ધૂલેશિયાના મોત બાદ મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર

અવિનાશ ધુલેશિયા નામના કારખાનેદારનુ રાત્રે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો છે. આજે મોટી સંખ્યામાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હૈયાફાટ રુદનથી એક મહિલા બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલની અંદર ખસેડાઈ છે. એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે હવે થાકી ગયા, પોલીસ બંગડીઓ પહેરી લો. સીપી સાહેબ ક્યાં ગયા, આવો અહીં. જવાબદારો સામે કાર્યવાહી કરો. સોસાયટીના રહીશો ન્યાયની માગ સાથે સિવિલ હોસ્પિટલમાં ધરણાં પર બેસી ગયા છે. પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બંગડીઓના ઘા કરી પોલીસને પહેરી લેવા જણાવી રહ્યા છે. સિવિલમાં મહિલાઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું છે. એક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અવિનાશભાઈએ કોઈ દિવસ માખી પણ મારી નથી, આ હુમલામાં નિર્દોષ હણાયા છે.