વડોદરા

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દિવસે દિવસે વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને આગામી હોળી ધૂળેટીના બે દિવસ વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી અને નર્મદા નદીના ન્હાવા લાયક સ્થળો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ધૂળેટીના દિવસે વડોદરા નજીક આવેલા સિંધરોટ ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. હાલમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે મહીસાગર અને નર્મદા નદી કિનારાના ન્હાવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં કોરોનાના રોજના કેસો ૧૫૦ને પાર કરી ચુક્યા છે અને તેમાં પણ દિવસે દિવસ સતત વધારો થઈ રહ્યો છે. તે સાથે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા હોળી અને ધૂળેટી સાર્વજનિક રીતે ન મનાવવા માટે એસ.ઓ.પી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને નદી કિનારાના ન્હાવા લાયક સ્થળો ઉપર બે દિવસ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યુ છે.