બનાસકાંઠા-

બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. બનાસ ડેરીના જણાવ્યા પ્રમાણે, અમૂલનાં મોતી દૂધને ફ્રિઝની બહાર જ ૯૦ દિવસ રાખશો તો પણ બગડે નહીં. આ માટેનું ખાસ પાઉસ બનાસ ડેરીએ બનાવ્યું છે. આનો અર્થ એ થયો કે, તમે આજે દૂધ લાવો છો તો તે પાઉચને તમે ફ્રિઝની બહાર જ ત્રણ મહિના રાખીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આટલા સમય પછી પણ તે બગડશે નહીં.

બનાસ ડેરીના દાવા પ્રમાણે, ફ્રિજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીએ બનાવ્યું છે. આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. જાે તમે મુસાફરીમાં થોડા દિવસો માટે બહાર જતા હોવ તો તમે તમારી સાથે પણ આ પાઉચ રાખી શકો છો અને ઘરમાં પણ રાખી શકો છો. જેનાથી તમારે પ્રવાસમાંથી થાકેલા ઘરે આવીને તરત દૂધના લેવા જવું પડે. આ ઉપરાંત જેમના ઘરમાં ફ્રિઝની સુવિધા નથી તે પણ આ દૂધને કોઇપણ ચિંતા વગર રાખી શકે છે. પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલ નું મોતી દૂધ સૈન્ય અને લોકોના ઉપયોગ માં આવી શકશે.

નોંધનીય છે કે, ગત જૂન મહિનામાં અમૂલ કંપનીએ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતી બે પ્રોડક્ટ લોન્ચ કરી હતી. અમૂલ કંપનીએ હલ્દી દૂધ બાદ હવે તૂલસી દૂધ અને જીંજર દૂધ લોન્ચ કર્યું હતુ. ભારત સરકારના આયુષ મંત્રાલયની ઇમ્યુનિટી વધારવા માટે જે ગાઇડ લાઇન છે તે વાતને ધ્યાનમાં રાખી અમૂલ દ્રારા ૨૦૦ એમએલની હળદરવાળા દૂધનું ટીન પેક બજારમાં એક મહિના પહેલા જ ઉતારવામાં આવ્યું છે. ત્યારે આજે ૧૨૫ એમએલમાં ટીન પેકમાં તુલસી દૂધ અને જીંજર દૂધ રજૂ કર્યું છે.