બનાસકાંઠા-

જિલ્લામાં હત્યાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા પાછળનું કારણ પૈસાની લેતી-દેતી અને પ્રેમ પ્રકરણ બહાર આવી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ સરહદી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલ પર હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. વારંવાર હત્યાના બનાવો સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મેસરા ગોદા નર્મદા કેનાલમાંથી તા. 12/01/2021 ના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ ડુંગરાસણ ગામની પરણીત પૂજા ઠાકોરનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પરિવાર દ્વારા પોતાની દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે વાત પોલીસે પરિવારની ફરિયાદના આધારે તપાસ દરમિયાન પૂજા ઠાકોરની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

સમગ્ર ઘટનામાં આરોપી મહેન્દ્રજી ઠાકોરએ ડુંગરસણથી પૂજા ઠાકોરને મળવા માટે થરા બોલાવી હતી અને ત્યાંથી બને વ્યકિત બાઇક પર ઓગડજીની થળીમાં આવ્યા હતા જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માગણી કરી હતી. જેમાં પ્રેમીએ ઉશકેરાઈ જઇ પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. તેમજ મૃતદેહને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો. તેમજ તેના કાકાના દીકરા જેણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે મૃતદેહને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જેણાજી ઠાકોર બંને વ્યકિત મોડી રાત્રે ઓગડજીની થળીમાં જઇ મૃતક પૂજા ઠાકોરના મૃતદેહને એક કોથળામાં ભરી અને અંદર પથરો ભરી વાયરથી વીટી આરોપીએ પૂજા ઠાકોરના મૃતદેહને નર્મદા કેનાલમાં નાખી દીધો હતો. આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપીની અટકાયત કરી સદર અનડીટેકટ મર્ડર કેસનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં આરોપીને કોવિડ 19 રિપોર્ટ કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.