નર્મદા-

વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરુદ પામાનર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોરોના બ્લાસ્ટ થયો છે. અહીંના નર્મદા નિગમના ૫૦ કર્ચમારી કોરોના પોઝિટિવ થયા છે. ૯ સપ્ટેમ્બરના રોજ ૨૮૦૦ કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી ૫૦ કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ૫૦ પોઝિટિવ પૈકી સીઆઇએસએફના ૨૨ જવાનો અને અન્ય ખાનગી એજન્સીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોઝિટિવ કર્મચારીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સાથે જ આ કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. ૩૧ ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તેવી શક્્યતા છે. ત્યારે તેમની મુલાકાત પહેલા તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાયેલા ૨૮૦૦ કર્મચારીઓ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સૌથી પહેલા ૧૮૦૦ કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો છે. તેમાથી ૯ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકીના ૧૦૦૦ કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી હતો. જે આવતા સ્ટેચ્યુ પાસે જાણે કોરોના વિસ્ફોટ થયો હતો. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એસએસએનએનએલ, એસવીપીઆરઈટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી ૨૮૦૦ કર્મચારીઓનાં કોવિદ૧૯ ટેસ્ટ કરાયા હતા. કર્મચારીઓનાં સારા સ્વાસ્થ્ય માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિશ્વ કોવિદ૧૯ મહામારીનો સામનો કરી રહ્યું છે.

ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં કોવિદ૧૯ ટેસ્ટ કરવાનો ર્નિણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવ કુમાર ગુપ્તાનાં માર્ગદર્શન અંતર્ગત ટેસ્ટનું આયોજન કરાયું હતું. કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર કોવિદ૧૯ ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી., સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી. જીએસઈસીએલ, જિલ્લા કલેકટર કચેરી, તેમજ એલશ્ટી અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમકર્મીઓને પણ આવરી લેવાયા હતા.